

સુરત શહેરના એક એકાઉન્ટન્ટ સાથે 75,92,300ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા. આ બનાવમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી ભાવિક બિપીનકુમાર જાટકીયા જે કતારગામ સુરત ખાતે રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ (ઉ.વ. 33), રહેવાસી ભક્તિ હાઈટ્સ, કોસાડ, સુરત એ ફરિયાદીની સાથે વિશેષ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી.આરોપીએ ફરિયાદી પાસેથી 30,00,000 રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી, જે કુલ 75,92,300 થાય છે. આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા હતા. ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે આરોપીએ બહાનેબાજી કરી હતી.
આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોપવામાં આવી. ઇકો સેલની ટીમે તપાસ શરૂ કરી અને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.







